વર્તમાન સમયમાં NATIONAL EDUCATION POLICY- 2020ના કારણે શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રે ઘણા પરિવર્તનો આવ્યા છે. તેથી જ શિક્ષક બનવા માટેની તાલીમાં પણ બદલાવ આવ્યો છે. એ જરૂરી પણ છે, કારણ કે એક શિક્ષક જ ભવિષ્યના શ્રેષ્ઠ ઘડવૈયાઓ તૈયાર કરે છે. શિક્ષક પ્રશિક્ષણની તાલીમ દરમિયાન ઘણું શીખવા મળે છે, ઘણા કૌશલ્યનો વિકાસ થાય છે.
કોઈપણ ક્ષેત્રમાં વિકાસ સાધવા તાલીમ જરૂરી છે. શિક્ષણને પણ ગુણવત્તા સભર બનાવવા માટે તાલીમ જરૂરી છે. શિક્ષણમાં નુતન પ્રવાહોથી વાકેફ થવા, નવી નવી વિવિધ તરાહો સાથે તાલમેલ સાધવા શિક્ષકને તાલીમ આપવી ખૂબ જ જરૂરી છે. શિક્ષકો તાલીમ લઈને પોતાના કૌશલ્યનો વિકાસ કરી તેનો વિનિયોગ વર્ગખંડમાં કરી શિક્ષણ કાર્યને અસરકારક બનાવી શકે છે. આ તાલીમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને તેની આવડતમાં વધારો કરવા પ્રયત્ન કરવામાં આવે છે. જેમ કે ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, પોસ્ટર મેકિંગ, કાર્ડ મેકિંગ ક્ષેત્રકાર્ય વગેરે...... ગાંધીજીએ બુનિયાદી શિક્ષણ નું મહત્વ સમજાવ્યું છે. આજની 21મી સદીમાં છાત્રોને બુનિયાદી શિક્ષણ આપવું જરૂરી છે. નવી શિક્ષણનીતિ 2020 પણ તેને અનુસરે છે. આધુનિક યુગ ટેકનોલોજીનો યુગ કહેવાય છે. શિક્ષકે પણ પોતાના વર્ગખંડમાં ટેકનોલોજીનો સદુપયોગ કરવો જોઈએ, જેથી શિક્ષણ કાર્ય રસમય બને, વિદ્યાર્થીઓ ઉત્સાહિત અને જિજ્ઞાસુ બને. આ ટેકનોલોજી ની પૂરી સમજ તેને ફક્ત તાલીમ દરમિયાન જ મળી શકે છે. શિક્ષક તો વિદ્યાર્થીનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે. વર્ગખંડમાં વૈયક્તિક તફાવતો ધરાવતા વિવિધ વિદ્યાર્થીઓને અધ્યાપન કરાવવા માટે પણ શિક્ષકને તાલીમની જરૂરિયાત રહે છે, કારણકે તાલીમથી જ શિક્ષક એ તફાવત અને સમજી શકે છે અને તે અનુસાર શિક્ષણ કાર્ય કરાવી શકે છે. વર્ગખંડની ચાર દીવાલોમાંથી બહાર નીકળી શિક્ષણ કાર્ય જીવંત અને વાસ્તવિક કેવી રીતે બનાવવું એ શિક્ષક તાલીમ દ્વારા જાણી શકે છે.
આજે વિદ્યાર્થી શાળામાં વિવિધ અનુભવોનું ભાથું લઈને આવે છે. તેના મનમાં ઘણા પ્રશ્નો સર્જાય છે. આવા પ્રશ્નોનું સાચું નિરાકરણ લાવવા સક્ષમ બનવા માટે શિક્ષકે યોગ્ય તાલીમ લેવી જરૂરી છે. વિદ્યાર્થીને જો ચોક અને ટોક પદ્ધતિથી ભણાવવામાં આવે તો તેની રસ બની જાય છે, બેધ્યાન બની જાય છે. આમ શિક્ષણ કાર્યને જીવંત અને વાસ્તવિક બનાવવા તાલીમ ની જરૂરિયાત રહે છે.
શિક્ષક પોતાના કાર્યમાં વધુ કુશળતા કેવળ વ્યક્તિગત અને સામૂહિક પ્રયત્નોને પરિણામે જ પ્રાપ્ત કરી શકે છે. આ માટે શિક્ષકના સેવાકાળ દરમિયાન પ્રશિક્ષણ આપતી સંસ્થાઓએ શિક્ષકને મદદ કરવી જોઈએ. તેથી જ પ્રશિક્ષણમાં એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે કે જેમનો હેતુ શિક્ષકોનું વ્યાવસાયિક જ્ઞાન, અભિરુચિ અને કૌશલ્યનો વિકાસ કરી તેમને વધુ સુદ્રઢ બનાવી શકાય. ભારતના ગ્રામ્ય વિસ્તાર અને નાના શહેરોમાં પુસ્તકોની અછત, શૈક્ષણિક સાધનોની ઉપલબ્ધિ નો અભાવ, અલ્પ અનુભવો, સંશોધનની કમી વગેરે પરિસ્થિતિનો સામનો શિક્ષકે કરવો પડે છે. તેથી આવા સંજોગોમાં શિક્ષકે જો તાલીમ લીધેલ હશે તો તે આવી સેવા ઉપલબ્ધ પણ કરાવા માટે સક્ષમ બનશે. તાલીમ દરમિયાન શિક્ષક જે સંશોધન કરે છે તેના દ્વારા નૂતન દૃષ્ટિ પ્રાપ્ત કરી શકે છે, અણધાર્યા પડકારોનો સામનો કરી નિરાકરણ લાવી શકે છે. પ્રશિક્ષણાર્થી પોતાની પદ્ધતિનું તલસ્પર્શી જ્ઞાન મેળવી શકે છે તેમ જ એક આદર્શ શિક્ષક તરીકેના ગુણોનો વિકાસ કરી શકે છે.
No comments:
Post a Comment